14-04-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - અંતર્મુખી બની જ્ઞાન રુપ અવસ્થામાં રહીને આ મહાવાક્યો ને ધારણ કરો ત્યારે પોતાનું તથા અન્ય આત્માઓનું કલ્યાણ કરી શકશો , પોતાનાં મન કે દિલ રુપી મંદિર ને ઈશ્વરીય ગુણો રુપી મૂર્તિઓથી સજાવો અને પવિત્ર સંકલ્પોની સુગંધ ફેલાવો”

પ્રશ્ન :-
સર્વોત્તમ સાચ્ચી સેવા કઈ છે? યથાર્થ સેવાનું સૂક્ષ્મ અને મહીન રહસ્ય શું છે?

ઉત્તર :-
જ્યારે કોઈનાથી કોઈ ભૂલ થાય છે તો તેને સાવધાન કરવાની સાથે સૂક્ષ્મ રીતે પોતાની યોગશક્તિ એમનાં સુધી પહોંચાડીને એમનાં અશુદ્ધ સંકલ્પો ને ભસ્મ કરવાં, આ જ સર્વોત્તમ સાચ્ચી સેવા છે. સાથે-સાથે પોતાનાં ઉપર પણ અટેન્શન (ધ્યાન) આપવું, મન્સામાં પણ કોઈ અશુદ્ધ સંકલ્પ ઉત્પન્ન ન થાય. આમાં પોતે પણ સાવધાન રહેવું અને બીજાનાં પ્રતિ એવી દિવ્ય સેવા કરવી, આ જ સેવાનું સૂક્ષ્મ અને મહીન રહસ્ય છે.

ઓમ શાંતિ!
દરેક પુરુષાર્થી બાળકે પહેલાં અંતર્મુખ અવસ્થા અવશ્ય ધારણ કરવાની છે. અંતર્મુખતા માં ખુબજ કલ્યાણ સમાયેલું છે, આ અવસ્થાથી જ અચલ, સ્થિર, ધૈર્યતા, નિર્માણ ચિત વગેરે દૈવી ગુણોની ધારણા થઈ શકે છે તથા સંપૂર્ણ જ્ઞાનમયી અવસ્થા પ્રાપ્ત થઇ શકે છે. અંતર્મુખ ન હોવાનાં કારણે તે સંપૂર્ણ જ્ઞાન રુપ અવસ્થા પ્રાપ્ત નથી થતી કારણ કે જે પણ કંઈ “મહાવાક્ય” સન્મુખ સાંભળે છે, જો એને ગહેરાઇ (ઊંડાણ) માં જઈને ગ્રહણ નથી કરતાં ફક્ત એ મહાવાક્યો ને સાંભળીને રીપીટ કરી દે છે તો તે મહાવાક્ય, વાક્ય થઈ જાય છે. જે જ્ઞાન રુપ અવસ્થામાં રહીને મહાવાક્ય નથી સાંભળતાં, એ મહાવાક્યો પર માયા નો પડછાયો પડી જાય છે. હવે એવી માયાનાં અશુદ્ધ વાઇબ્રેશન થી ભરેલાં મહાવાક્ય સાંભળીને ફક્ત રીપીટ કરવાથી પોતાની સાથે બીજાઓનું કલ્યાણ થવાનાં બદલે અકલ્યાણ થઈ જાય છે એટલે હેં બાળકો એકદમ અંતર્મુખી બની જાઓ.

તમારું આ મન મંદિર સદૃશ્ય છે. જેમ મંદિર થી સદૈવ સુગંધ આવે છે એમ મન મંદિર જ્યારે પવિત્ર બને છે તો સંકલ્પ પણ પવિત્ર ઈમર્જ (જાગૃત) થાય છે. જેમ મંદિરમાં ફક્ત પવિત્ર દેવી-દેવતાઓનાં જ ચિત્ર રખાય છે, ન કે દૈત્યોનાં. એમ આપ બાળકો પોતાનાં મન કે દિલ રુપી મંદિર ને સર્વ ઈશ્વરીય ગુણોની મૂર્તિઓથી સજાવી દો, તે ગુણ છે - નિર્મોહ, નિર્લોભ, નિર્ભય, ધૈર્યતા, નિરંહકાર વગેરે કારણ કે આ બધાં તમારા જ દિવ્ય લક્ષણ છે. આપ બાળકોએ પોતાનાં મન મંદિર ને પ્રકાશિત અર્થાત્ સંપૂર્ણ શુદ્ધ બનાવવાનું છે. જ્યારે મન મંદિર પ્રકાશિત બને ત્યારે જ પોતાનાં પ્રકાશિત પ્રિય વૈકુંઠ દેશમાં જઈ શકો. તો હવે પોતાના મનને ઉજ્વળ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે તથા મન સહિત વિકારી કર્મેન્દ્રિયો ને વશ કરવાની છે. પરતું ન ફક્ત પોતાનાં પ્રતિ પણ અન્ય પ્રતિ પણ આ જ દિવ્ય સર્વિસ કરવાની છે.

હકીકત માં સર્વિસ નો અર્થ અતિ સૂક્ષ્મ અને મહીન છે. એવું નહીં કે કોઈની ભૂલ પર ફક્ત સાવધાન કરવાં એટલે સુધી સેવા છે. પરંતુ ના, એમને સૂક્ષ્મ રીતે પોતાની યોગની શક્તિ પહોંચાડી એમનાં અશુદ્ધ સંકલ્પ ને ભસ્મ કરી દેવાં, આ જ સર્વોત્તમ સાચ્ચી સેવા છે અને સાથે-સાથે પોતાનાં ઉપર પણ અટેન્શન રાખવાનું છે. ન ફક્ત વાચા અથવા કર્મણા સુધી પરંતુ મન્સા માં પણ કોઈ અશુદ્ધ સંકલ્પ ઉત્પન્ન થાય છે તો એનાં વાઈબ્રેશન અન્ય સુધી જઈ સૂક્ષ્મ રીતે અકલ્યાણ કરે છે, જેનો બોજ પોતાનાં પર આવે છે અને એ જ બોજ બંધન બની જાય છે એટલે હેં બાળકો પોતે સાવધાન રહો પછી અન્ય પ્રતિ તે જ દિવ્ય સેવા કરો, આ જ આપ સેવાધારી બાળકોનું અલૌકિક કર્તવ્ય છે. આવી સેવા કરવા વાળાઓએ પછી પોતાનાં પ્રતિ કોઈ પણ સેવા નથી લેવાની. ભલે ક્યારેક કોઈ અનાયાસે ભૂલ થઈ પણ જાય તો એને પોતાનાં બુદ્ધિયોગ બળ થી સદૈવ માટે સુધારી દેવાની છે. આવાં તીવ્ર પુરુષાર્થી થોડો પણ ઈશારો મળવાથી તરત મહેસૂસ કરીને પરિવર્તન કરી લે છે અને આગળ માટે સારી રીતે અટેન્શન રાખી ચાલે છે, આ જ વિશાળ બુદ્ધિ બાળકોનું કર્તવ્ય છે.

હેં મારા પ્રાણો, પરમાત્મા દ્વારા રચાયેલાં આ અવિનાશી રાજસ્વ જ્ઞાન યજ્ઞ પ્રતિ તન, મન, ધન ને સંપૂર્ણ રીતે સ્વાહા કરવાનું રહસ્ય બહુજ મહીન (સૂક્ષ્મ) છે. જે ઘડી આપ કહો છો કે હું તન મન ધન સહિત યજ્ઞમાં સ્વાહા અર્થાત્ અર્પણ થઈ મરી ચૂક્યો, એ ઘડી થી લઈને પોતાનું કંઈ પણ નથી રહેતું. એમાં પણ પહેલાં તન, મન ને સંપૂર્ણ રીતે સેવામાં લગાવવાનું છે. જ્યારે સર્વસ્વ યજ્ઞ અથવા પરમાત્મા નાં પ્રતિ છે તો પછી પોતાનાં પ્રતિ કંઈ રહી નથી શકતું, ધન પણ વ્યર્થ ગુમાવી ન શકાય. મન પણ અશુદ્ધ સંકલ્પ વિકલ્પ તરફ દોડી ન શકે કારણ કે પરમાત્મા ને અર્પણ કરી દીધું. હવે પરમાત્મા તો છે જ શુદ્ધ શાંત સ્વરુપ. આ કારણે અશુદ્ધ સંકલ્પ સ્વતઃ શાંત થઈ જાય છે. જો મન માયાનાં હાથમાં આપી દો છો તો માયા વેરાઈટી (વિવિધ) રુપ હોવાનાં કારણે અનેક પ્રકારનાં વિકલ્પ ઉત્પન્ન કરી મન રુપી ઘોડા પર આવી સવારી કરે છે. જો કોઈ બાળકને હમણાં સુધી પણ સંકલ્પ વિકલ્પ આવે છે તો સમજવું જોઈએ કે હજું મન પૂર્ણ રીતે સ્વાહા નથી થયું અર્થાત્ ઈશ્વરીય મન નથી બન્યું એટલે હેં સર્વત્યાગી બાળકો, આ ગુહ્ય રહસ્યો ને સમજી કર્મ કરતાં સાક્ષી થઈ પોતાને જોઈ બહુજ ખબરદારી થી ચાલવાનું છે.

સ્વયં ગોપી વલ્લભ તમે પોતાનાં પ્રિય ગોપ-ગોપીઓ ને સમજાવી રહ્યાં છે કે આપ દરેકનો વાસ્તવિક સાચો પ્રેમ કયો છે! હેં પ્રાણો, તમારે એક-બીજાની પ્રેમ ભરી સાવધાની ને સ્વીકાર કરવાની છે કારણ કે જેટલું પ્રિય ફૂલ એટલી જ શ્રેષ્ઠ પરવરિશ. ફૂલ ને વેલ્યુએબલ (કિંમતી) બનાવવા અર્થ માળીને કાંટાઓ થી નીકળવું જ પડે છે. તેમ તમને પણ જ્યારે કોઈ સાવધાની આપે છે તો સમજવું જોઈએ જેમકે એમણે મારી પરવરિશ કરી અર્થાત્ મારી સેવા કરી. એ સેવા અથવા પરવરિશ ને રિગાર્ડ (સન્માન) આપવાનો છે, આ જ સંપૂર્ણ બનાવવાની યુક્તિ છે. આ જ જ્ઞાન સહિત આંતરિક સાચો પ્રેમ છે. આ દિવ્ય પ્રેમ માં એક-બીજાનાં માટે બહુ જ રીગાર્ડ હોવો જોઈએ. દરેક વાતમાં પહેલા પોતાને જ સાવધાન કરવાનું છે, આ જ નિર્માણચિત અતિ મધુર અવસ્થા છે. આમ પ્રેમપૂર્વક ચાલવાથી તમને જેમ અહીંયા જ તે સતયુગનાં સુખદ દિવસ આંતરિક મહેસૂસ થશે. ત્યાં તો આ પ્રેમ નેચરલ રહે છે પરંતુ આ સંગમનાં સ્વીટેસ્ટ (અતિ મધુર) સમય પર એક-બીજા માટે સેવા કરવાનો આ અતિ મીઠો રમણીક પ્રેમ છે, આ જ શુદ્ધ પ્રેમ દુનિયામાં ગવાયો છે.

આપ દરેક ચૈતન્ય ફૂલો ને દરેક પળ હર્ષિત મુખ થઈ રહેવાનું છે કારણ કે નિશ્ચય બુદ્ધિ હોવાનાં કારણે તમારી નસ નસ માં સંપૂર્ણ ઈશ્વરીય તાકાત સમાયેલી છે. આવી આકર્ષણ શક્તિ પોતાનો દિવ્ય ચમત્કાર અવશ્ય બતાવે છે. જેમ નાનાં નિર્દોષ બાળકો શુદ્ધ પવિત્ર હોવાનાં કારણે સદૈવ હસતાં રહે છે અને પોતાનાં રમણીક ચરિત્ર થી સૌને બહુજ ખેંચે છે. તેમ આપ દરેકનું એવું ઈશ્વરીય રમણીક જીવન હોવું જોઈએ, એનાં માટે તમારે કોઈ પણ યુક્તિ થી પોતાનાં આસુરી સ્વભાવ પર જીત પ્રાપ્ત કરવાની છે. જ્યારે કોઈ ને જુઓ કે આ ક્રોધ વિકારનાં વશ થઇ મારી સામે આવે છે તો એમની સામે જ્ઞાન રુપ થઇ બાળપણની મીઠી રીત થી હસતાં રહો તો તે પોતે શાંત ચિત થઈ જશે અર્થાત્ વિસ્મૃતિ સ્વરુપ થી સ્મૃતિ માં આવી જશે. ભલે એમને ખબર ન પણ પડે પરંતુ સૂક્ષ્મ રીતે એમનાં ઉપર જીત પામીને માલિક બની જવું, આ જ માલિક અને બાળકપણા ની સર્વોચ્ચ શિરોમણી વિધિ છે.

ઈશ્વર જેમ સંપૂર્ણ જ્ઞાન રુપ તેમ પછી સંપૂર્ણ પ્રેમ રુપ પણ છે. ઈશ્વરમાં બંનેવ વિશેષતા સમાયેલી છે પરંતુ પહેલા જ્ઞાન, બીજી પ્રેમ. જો કોઈ પહેલા જ્ઞાનરુપ બન્યા વગર ફક્ત પ્રેમ રુપ બની જાય છે તો તે પ્રેમ અશુદ્ધ ખાતામાં લઈ જાય છે એટલે પ્રેમને મર્જ (વિસ્મૃત) કરી પહેલાં જ્ઞાન રુપ બની ભિન્ન-ભિન્ન રુપો માં આવેલી માયા પર જીત પામીને પછી પ્રેમ રુપ બનવાનું છે. જો જ્ઞાન વગર પ્રેમ માં આવ્યા તો ક્યાંય વિચલિત પણ થઈ જશો. જેમ જો કોઈ જ્ઞાન રુપ બન્યાં વગર ધ્યાનમાં જાય છે તો ઘણી વાર માયા માં ફસાઈ જાય છે, એટલે બાબા કહે છે બાળકો, આ ધ્યાન પણ એક સુત્તર ની સાંકળ છે પરંતુ જ્ઞાન રુપ બની પછી ધ્યાન માં જવાથી અતિ મોજ નો અનુભવ થાય છે. તો પહેલાં છે જ્ઞાન પછી છે ધ્યાન. ધ્યાનિષ્ટ અવસ્થા થી જ્ઞાનીષ્ટ અવસ્થા શ્રેષ્ઠ છે. એટલે હેં બાળકો, પહેલા જ્ઞાન રુપ બની પછી પ્રેમ ઇમર્જ કરવાનો છે. જ્ઞાન વગર ફક્ત પ્રેમ આ પુરુષાર્થી જીવન માં વિઘ્ન નાખે છે.

સાક્ષીપણા ની અવસ્થા અતિ મીઠી, રમણીક અને સુંદર છે. આ અવસ્થા પર જ આગળનાં જીવનનો બધો આધાર છે. જેમ કોઈ ની પાસે કોઈ શારીરિક ભોગના આવે છે. એ સમયે જો તે સાક્ષી, સુખસ્વરુપ અવસ્થામાં ઉપસ્થિત થઈ એને ભોગવે છે તો પાસ્ટ કર્મોની ભોગના ચૂકતું પણ કરે છે અને સાથે-સાથે ભવિષ્ય માટે સુખ નો હિસાબ પણ બને છે. તો આ સાક્ષીપણાની સુખરુપ અવસ્થા ભૂત અને ભવિષ્ય બંને થી કનેક્શન (સંબંધ) રાખે છે. તો આ રહસ્યને સમજવાથી કોઈ પણ એવું નહીં કહેશે કે મારો આ સુખદ સમય ફકત ચૂકતું કરવામાં ચાલ્યો ગયો. ના, આ જ સુખદ પુરુષાર્થ નો સમય છે જે સમયે બંને કાર્ય સંપૂર્ણ રીતે સિદ્ધ થાય છે. એમ બંને કાર્યને સિદ્ધ કરવા વાળા પુરુષાર્થી જ અતીન્દ્રિય સુખ કે આનંદ નાં અનુભવમાં રહે છે.

આ વેરાઈટી વિરાટ ડ્રામાની દરેક વાતમાં આપ બાળકોને સંપૂર્ણ નિશ્ચય હોવો જોઈએ કારણ કે આ બન્યો બનેલ ડ્રામા બિલકુલ વફાદાર છે. જુઓ, આ ડ્રામા માં દરેક જીવ પ્રાણી એમનો પાર્ટ પૂર્ણ રીતે થી ભજવે છે. ભલે કોઈ ખોટું છે, તો તે ખોટો પાર્ટ પણ પૂર્ણ રીતે ભજવે છે. આ પણ ડ્રામા ની નોંધ છે. જ્યારે ખોટું અને સાચું બંનેય પ્લાનમાં નોંધાયેલું છે તો પછી કોઈ વાતમાં સંશય ઉઠાવવો, આ જ્ઞાન નથી કારણ કે દરેક એક્ટર પોત-પોતાનો પાર્ટ ભજવી રહ્યો છે. જેમ બાઈસ્કોપ (સિનેમા) માં અનેક ભિન્ન-ભિન્ન નામ રુપધારી એક્ટર્સ પોત-પોતાની એક્ટિંગ કરે છે તો એમને જોઈ, કોઈનાથી નફરત આવે અને કોઈનાથી હર્ષિત થાય, એવું નથી થતું. ખબર છે કે આ એક ખેલ છે, જેમાં દરેક ને પોતપોતાનો સારો કે ખરાબ પાર્ટ મળેલો છે. તેમજ આ અનાદિ બનેલાં સિનેમા ને પણ સાક્ષી થઈ એકરસ અવસ્થા થી હર્ષિતમુખ થઈ જોતા રહેવાનું છે. સંગઠન માં આ પોઇન્ટ (વાત) બહુજ સારી રીતે ધારણ કરવાની છે. એક-બીજા ને ઈશ્વરીય રુપ થી જોવાનું છે, મહેસૂસતા નું જ્ઞાન ઉઠાવી/ધારણ કરી સર્વ ઈશ્વરીય ગુણો ની ધારણા કરવાની છે. પોતાનાં લક્ષ્ય સ્વરુપ ની સ્મૃતિ થી શાંત ચિત, નિર્માણ ચિત, ધૈર્યતા, મીઠાશ, શીતળતા વગેરે સર્વ દૈવી ગુણ ઇમર્જ (જાગૃત) કરવાનાં છે.

ધૈર્યવત અવસ્થા ધારણ કરવાનું મુખ્ય ફાઉન્ડેશન - વેટ એન્ડ સી (થોભો અને જુઓ). હેં મારા પ્રિય બાળકો, વેટ અર્થાત્ ધૈર્ય ધરવું, સી અર્થાત જોવું. પોતાનાં દિલની અંદર પહેલાં ધૈર્યતા ધારણ કરી એનાં પછી બહાર વિરાટ ડ્રામા ને સાક્ષી થઈ જોવાનું છે. જ્યાં સુધી કોઇ પણ રહસ્ય સાંભળવાનો સમય સમીપ આવે ત્યાં સુધી ધૈર્યતાનાં ગુણની ધારણા કરવાની છે. સમય આવવા પર એ ધૈર્યતાનાં ગુણ થી રહસ્ય સાંભળવામાં ક્યારેય પણ વિચલિત નહીં થશો. એટલે હેં પુરુષાર્થી પ્રાણો, જરા થોભો અને આગળ વધીને રહસ્ય જોતા જાઓ. આ જ ધૈર્યવત અવસ્થા થી બધાં કર્તવ્ય સંપૂર્ણ રીતે સિદ્ધ થાય છે. આ ગુણ નિશ્ચય થી બંધાયેલો છે. એવાં નિશ્ચયબુદ્ધિ સાક્ષી દૃષ્ટા થઈ દરેક ખેલ ને હર્ષિત ચહેરા થી જોતા આંતરિક ધૈર્યતા અને અડોલચિત રહે છે, આ જ જ્ઞાનની પરિપકવ અવસ્થા છે જે અંતમાં સંપૂર્ણતા નાં સમયે પ્રેક્ટિકલ માં રહે છે એટલે લાંબા સમય થી લઈને આ સાક્ષીપણા ની અવસ્થા માં સ્થિત રહેવાનો પરિશ્રમ કરવાનો છે.

જેમ નાટક માં એક્ટરને પોતાને મળેલો પાર્ટ પૂર્ણ ભજવવા આગળ થી જ રિહર્સલ (અભ્યાસ) કરવી પડે છે, તેમ આ પ્રિય ફૂલોને પણ આવવા વાળી ભારે પરીક્ષાઓથી યોગબળ દ્વારા પાસ થવા માટે આગળ થી રિહર્સલ અવશ્ય કરવાની છે. પરંતુ લાંબા સમય થી લઈને જો આ પુરુષાર્થ કરેલો નહીં હશે તો એ સમયે ગભરાહટ માં ફેલ (નપાસ) થઈ જશો, એટલે પહેલાં પોતાનાં ઈશ્વરીય ફાઉન્ડેશન ને પાકું રાખી દૈવી ગુણધારી બની જવાનું છે.

જ્ઞાન સ્વરુપ સ્થિતિમાં સ્થિત રહેવાથી સ્વતઃ શાંત રુપ અવસ્થા થઈ જાય છે. જ્યારે જ્ઞાની તૂ આત્મા બાળકો, ભેગા બેસી મુરલી સાંભળે છે તો ચારેય તરફ શાંતિનું વાયુમંડળ બની જાય છે કારણ કે તેઓ કાંઈ પણ મહાવાક્ય સાંભળે છે તો આંતરિક ડીપ (ઊંડાણ) માં ચાલ્યા જાય છે. ઊંડાણમાં જવાનાં કારણે આંતરિક એમને શાંતિની મીઠી મહેસૂસતા થાય છે. હવે એનાં માટે કોઈ ખાસ બેસીને મહેનત નથી કરવાની પરંતુ જ્ઞાનની અવસ્થા માં સ્થિત રહેવાથી આ ગુણ અનાયાસ આવી જાય છે. આપ બાળકો જ્યારે સવારે સવારે ઊઠીને એકાંતમાં બેસો છો તો શુદ્ધ વિચારો રુપી લહેરો ઉત્પન્ન થાય છે, એ સમયે બહુ જ ઉપરામ અવસ્થા હોવી જોઈએ. પછી પોતાના નિજ શુદ્ધ સંકલ્પ માં સ્થિત થવાથી અન્ય બધાં સંકલ્પ જાતે જ શાંત થઈ જશે અને મન અમન થઇ જશે કારણ કે મનને વશ કરવા અર્થ પણ કોઈ તાકાત તો અવશ્ય જોઈએ એટલે પહેલાં પોતાનાં લક્ષ્ય સ્વરુપનાં શુદ્ધ સંકલ્પ ને ધારણ કરો. જ્યારે આંતરિક બુદ્ધિયોગ કાયદા પ્રમાણે હશે તો તમારી આ નિરસંકલ્પ અવસ્થા સ્વતઃ થઈ જશે. અચ્છા.

મીઠા-મીઠા સિકિલધા, જ્ઞાન ગુલ્ઝારી, જ્ઞાન તારાઓ પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાના લક્ષ્ય સ્વરુપની સ્મૃતિ થી શાંત ચિત, નિર્માણ ચિત, ધૈર્યવત, મીઠાશ, શીતળતા વગેરે સર્વ દૈવી ગુણ ધારણ કરવાનાં છે.

2. નિશ્ચયબુદ્ધિ સાક્ષી દૃષ્ટા થઈ આ ખેલ ને હર્ષિત ચહેરા થી જોતા આંતરિક ધૈર્યવત અને અડોલ ચિત રહેવાનું છે. લાંબા સમય થી લઈને આ સાક્ષીપણાની અવસ્થામાં સ્થિત રહેવાનો પરિશ્રમ કરવાનો છે.

વરદાન :-
સ્નેહ અને શક્તિ રુપ નાં બેલેન્સ ( સંતુલન ) દ્વારા સેવા કરવા વાળા સફળતા મૂર્ત ભવ

જેમ એક આંખ માં બાપનો સ્નેહ અને બીજી આંખમાં બાપ દ્વારા મળેલું કર્તવ્ય (સેવા) સદા સ્મૃતિમાં રહે છે. એમ સ્નેહી-મૂર્ત ની સાથે-સાથે હવે શક્તિ રુપ પણ બનો. સ્નેહની સાથે-સાથે શબ્દોમાં એવું બળ હોય જે કોઈ નું પણ હૃદય વિદીરણ કરી દે. જેમ માં બાળકોને કેવાં પણ શબ્દોમાં શિક્ષા આપે છે તો મા નાં સ્નેહનાં કારણે તે શબ્દ તેજ કે કડવા મહેસૂસ નથી થતાં. એમજ જ્ઞાનની જે પણ સત્ય વાતો છે એને સ્પષ્ટ શબ્દો માં આપો - પરંતુ શબ્દો માં સ્નેહ સમાયેલો હોય તો સફળતા મૂર્ત બની જશો.

સ્લોગન :-
સર્વશક્તિમાન્ બાપ ને સાથી બનાવી લો તો પશ્ચાતાપ થી છૂટી જશો.