31-12-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - તમારી આ ઈશ્વરીય મિશન છે , તમે બધાને ઈશ્વર નાં બનાવીને તેમને બેહદ નો વારસો અપાવો છો ”

પ્રશ્ન :-
કર્મેન્દ્રિયો ની ચંચળતા સમાપ્ત ક્યારે થશે?

ઉત્તર :-
જ્યારે તમારી સ્થિતિ સિલ્વર એજ (ત્રેતાયુગ) સુધી પહોંચશે અર્થાત્ જ્યારે આત્મા ત્રેતાની સતો સ્થિતિ સુધી પહોંચી જશે તો કર્મન્દ્રિયોની ચંચળતા બંધ થઈ જશે. હમણાં તમારી રીટર્ન જર્ની (પાછા જવાની યાત્રા) છે એટલે કર્મેન્દ્રિયો ને વશમાં રાખવાની છે. કોઈ પણ છુપાવીને એવું કર્મ નથી કરવાનું જેથી આત્મા પતિત બની જાય. અવિનાશી સર્જન તમને જે પરહેજ બતાવી રહ્યાં છે, તેનાં પર ચાલતાં રહો.

ગીત :-
મુખડા દેખ લે પ્રાણી……

ઓમ શાંતિ!
રુહાની બાળકો પ્રતિ રુહાની બાપ સમજાવી રહ્યાં છે. ન ફક્ત આપ બાળકોને, જે પણ રુહાની બાળકો પ્રજાપિતા બ્રહ્મા મુખ-વંશાવલી છે, તે જાણે છે. આપણને બ્રાહ્મણો ને જ બાપ સમજાવે છે. પહેલાં તમે શૂદ્ર હતાં પછી આવીને બ્રાહ્મણ બન્યાં છો. બાપે વર્ણો નો પણ હિસાબ સમજાવ્યો છે. દુનિયામાં વર્ણો ને પણ સમજતાં નથી. ફક્ત ગાયન છે. હમણાં તમે બ્રાહ્મણ વર્ણનાં છો પછી દેવતા વર્ણ નાં બનશો. વિચાર કરો આ વાત રાઈટ છે? જજ યોર સેલ્ફ (પોતે નિર્ણય કરો). અમારી વાત સાંભળો અને તુલના કરો. શાસ્ત્ર જે જન્મ-જન્માંતર સાંભળ્યાં છે અને જે જ્ઞાન સાગર બાપ સમજાવે છે તેની તુલના કરો - રાઈટ શું છે? બ્રાહ્મણ ધર્મ અથવા કુળ બિલ્કુલ ભૂલેલાં છે. તમારી પાસે વિરાટ રુપ નું ચિત્ર યથાર્થ બનેલું છે, આનાં પર સમજાવાય છે. બાકી આટલી ભુજાઓ વાળા ચિત્ર જે બનાવ્યાં છે અને દેવીઓનાં હથિયાર વગેરે બેસીને આપ્યાં છે, તે બધું છે રોંગ (ખોટું). આ ભક્તિમાર્ગ નાં ચિત્ર છે. આ આંખો થી બધું જુએ છે પરંતુ સમજતાં નથી. કોઈનાં ઓક્યુપેશન ની ખબર નથી. હમણાં આપ બાળકોને પોતાની આત્માની ખબર પડી છે. અને ૮૪ જન્મો ની પણ ખબર પડી છે. જેમ બાપ આપ બાળકો ને સમજાવે છે, તમારે પછી બીજાઓને સમજાવવાનું છે. શિવબાબા તો બધાની પાસે નહીં જશે. જરુર બાપનાં મદદગાર જોઈએ ને એટલે તમારુ છે ઈશ્વરીય મિશન. તમે બધાને ઈશ્વર નાં બનાવો છો. સમજાવો છો એ આપણી આત્માઓનાં બેહદનાં બાપ છે. એમનાથી બેહદ નો વારસો મળશે. જેમ લૌકિક બાપ ને યાદ કરાય છે, તેનાથી પણ વધારે પારલૌકિક બાપ ને યાદ કરવાં પડે. લૌકિક બાપ તો અલ્પકાળ માટે સુખ આપે છે. બેહદનાં બાપ બેહદ નું સુખ આપે છે. આ હમણાં આત્માઓને જ્ઞાન મળે છે. હમણાં તમે જાણો છો ૩ બાપ છે. લૌકિક, પારલૌકિક અને અલૌકિક. બેહદનાં બાપ અલૌકિક બાપ દ્વારા તમને સમજાવી રહ્યાં છે. આ બાપને કોઈ પણ જાણતું નથી. બ્રહ્માની બાયોગ્રાફી (જીવનકહાની) ની કોઈને ખબર નથી. તેમનું ઓક્યુપેશન (કર્તવ્ય) પણ જાણવું જોઈએ ને. શિવની, શ્રીકૃષ્ણની મહિમા ગાએ છે બાકી બ્રહ્માની મહિમા ક્યાં? નિરાકાર બાપ ને જરુર મુખ તો જોઈએ ને, જેનાથી અમૃત આપે. ભક્તિમાર્ગ માં બાપને ક્યારેય યથાર્થ રીતે યાદ નથી કરી શકતાં. હમણાં તમે જાણો છો, સમજો છો શિવબાબા નો રથ આ છે. રથ નો પણ શ્રુંગાર કરે છે ને. જેવી રીતે મોહમ્મદ નાં ઘોડાને પણ સજાવે છે. આપ બાળકો કેટલી સારી રીતે મનુષ્યો ને સમજાવો છો. તમે બધાંની મહિમા કરો છો. બોલો છો તમે આ દેવતા હતાં પછી ૮૪ જન્મ ભોગવી તમોપ્રધાન બન્યાં છો. હવે ફરી સતોપ્રધાન બનવાનું છે તો તેનાં માટે યોગ જોઈએ. પરંતુ બહુ મુશ્કિલ કોઈ સમજે છે. સમજી જાય તો ખુશી નો પારો ચઢે. સમજાવવા વાળાનો તો વધારે જ પારો ચઢી જાય. બેહદનાં બાપ નો પરિચય આપવો કોઈ ઓછી વાત છે શું. સમજી નથી શકતાં. કહે છે આ કેવી રીતે થઈ શકે. બેહદનાં બાપ ની જીવન કહાની સંભળાવે છે.

હવે બાપ કહે છે-બાળકો, પાવન બનો. તમે પોકારતા હતાં ને કે હેં પતિત-પાવન આવો. ગીતામાં પણ મનમનાભવ અક્ષર છે પરંતુ તેની સમજણ કોઈની પાસે છે નહીં. બાપ આત્માનું જ્ઞાન પણ કેટલું ક્લિયર (સ્પષ્ટ) કરી સમજાવે છે. કોઈ શાસ્ત્ર માં આ વાતો છે નહીં. ભલે કહે છે આત્મા બિંદુ છે, ભ્રકુટી ની વચ્ચે સ્ટાર છે. પરંતુ યથાર્થ રીતે કોઈની બુદ્ધિમાં નથી. એ પણ જાણવું પડે. કળયુગમાં છે જ અનરાઈટીયસ (અસત્યતા). સતયુગ માં છે બધાં રાઇટીયસ (સત્યતા). ભક્તિમાર્ગ માં મનુષ્ય સમજે છે - આ બધાં ઈશ્વર થી મળવાનાં રસ્તા છે એટલે તમે પહેલાં ફોર્મ ભરાવો છો - અહીંયાં કેમ આવ્યાં છો? આંનાથી પણ તમારે બેહદનાં બાપ નો પરિચય આપવાનો છે. પૂછો છો આત્માનાં બાપ કોણ? સર્વવ્યાપી કહેવાથી તો કોઈ અર્થ જ નથી નીકળતો. બધાનાં બાપ કોણ? આ છે મુખ્ય વાત. પોત-પોતાનાં ઘરમાં પણ તમે સમજાવી શકો છો. એક-બે મુખ્ય ચિત્ર સીડી, ત્રિમૂર્તિ, ઝાડ આ બહુ જરુરી છે. ઝાડ થી બધાં ધર્મ વાળા સમજી શકે છે કે અમારો ધર્મ ક્યારે શરું થયો! અમે આ હિસાબ થી સ્વર્ગમાં જઈ શકીએ છીએ? જે આવે જ પાછળ છે તે તો સ્વર્ગ માં જઈ ન શકે. બાકી શાંતિધામ માં જઈ શકશે. ઝાડ થી પણ ઘણું ક્લીયર થાય છે. જે-જે ધર્મ પાછળ થી આવ્યાં છે તેની આત્માઓ જરુર ઉપર માં જઈ વિરાજમાન થશે. તમારી બુદ્ધિમાં આખું ફાઉન્ડેશન (પાયો) લગાવાય છે. બાપ કહે છે આદિ સનાતન દેવી-દેવતા ધર્મનું સૈપલિંગ તો લાગ્યું પછી ઝાડનાં પત્તા પણ તમારે બનાવવાનાં છે, પત્તા વગર તો ઝાડ હોતું નથી એટલે બાબા પુરુષાર્થ કરાવતાં રહે છે - આપસમાન બનાવવા માટે. બીજા ધર્મ વાળાઓએ પત્તા નથી બનાવવાં પડતાંં. એ તો ઉપર થી આવે છે, ફાઉન્ડેશન લગાવે છે. પછી પત્તા પાછળ થી ઉપર થી આવે-જાય છે. તમે પછી ઝાડની વૃદ્ધિ માટે આ પ્રદર્શની વગેરે કરો છો. એનાથી પત્તા આવે છે, પછી તોફાન આવવાથી ખરી પડે છે, મુરઝાઈ જાય છે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના થઈ રહી છે. આમાં લડાઈ વગેરે ની કોઈ વાત નથી. ફક્ત બાપ ને યાદ કરવાનાં અને કરાવવાનાં છે. તમે બધાને કહો છો બીજી જે પણ રચના છે તેને છોડો. રચના થી ક્યારેય વારસો મળી ન શકે. રચયિતા બાપને જ યાદ કરવાનાં છે. બીજા કોઈની યાદ ન આવે. બાપનાં બની ને, જ્ઞાનમાં આવી ને પછી જો કોઈ એવું કામ કરે છે તો તેનો બોજો માથા પર બહુજ ચઢે છે. બાપ પાવન બનાવવા આવે છે અને પછી એવું કંઈ કામ કરે છે તો વધારે જ પતિત બની જાય છે એટલે બાબા કહે છે એવું કોઈ કામ નહીં કરો જે નુકસાન થઈ જાય. બાપ ની ગ્લાનિ થાય છે ને. એવું કર્મ નહીં કરો જેથી વિકર્મ વધારે થઈ જાય. પરહેજ પણ રાખવાની છે. દવા માં પણ પરહેજ રખાય છે. ડોક્ટર કહે આ ખટાશ વગેરે નથી ખાવાનું તો માનવું જોઈએ. કર્મેન્દ્રિયો ને વશ કરવી પડે છે. જો છુપાઈ ને ખાતા રહેશે તો પછી દવાની અસર નહીં થશે. આને કહેવાય છે આસક્તિ. બાપ પણ શિક્ષા આપે છે - આ નહીં કરો. સર્જન છે ને. લખે છે બાબા મનમાં સંકલ્પ બહુજ આવે છે. ખબરદાર રહેવાનું છે. ગંદા સ્વપ્ન, મન્સામાં સંકલ્પ વગેરે ખુબ આવશે, એનાથી ડરવાનું નથી, સતયુગ-ત્રેતામાં આ વાતો થતી નથી. તમે જેટલાં આગળ નજીક થતાં જશો, સિલ્વર એજ (સતો સ્થિતિ) સુધી પહોંચશો ત્યારે કર્મેન્દ્રિયો ની ચંચળતા બંધ થઈ જશે. કર્મેન્દ્રિયો વશ થઈ જશે. સતયુગ-ત્રેતામાં વશ હતી ને. જ્યારે તે ત્રેતા ની અવસ્થા સુધી આવો ત્યારે વશ થશે. પછી સતયુગ ની અવસ્થામાં આવશો તો સતોપ્રધાન બની જશો પછી બધી કર્મેન્દ્રિયો પૂરી વશ થઈ જશે. કર્મેન્દ્રિયો વશ હતી ને. નવી વાત થોડી છે. આજે કર્મેન્દ્રિયો નાં વશ છે, કાલે ફરી પુરુષાર્થ કરી કર્મેન્દ્રિયો ને વશ કરી લો છો. એ તો ૮૪ જન્મોમાં ઉતરતા આવ્યાં છો. હવે રીટર્ન જર્ની (પાછાં જવાની યાત્રા) છે, બધાએ સતોપ્રધાન અવસ્થામાં જવાનું છે. પોતાનો ચાર્ટ જોવાનો છે - અમે કેટલાં પાપ, કેટલાં પુણ્ય કર્યા છે. બાપ ને યાદ કરતા-કરતા આઈરન એજ (કળયુગ) થી સિલ્વર એજ (ત્રેતાયુગ) સુધી પહોંચી જશો તો કર્મેન્દ્રિયો વશ થઈ જશે. પછી તમને મહેસૂસ થશે - હવે કોઈ તોફાન નથી આવતાં. તે પણ અવસ્થા આવશે. પછી ગોલ્ડન એજ (સતયુગ) માં ચાલ્યાં જશો. મહેનત કરી પાવન બનવાથી ખુશી નો પારો પણ ચઢશે. જે પણ આવે છે તેમને સમજાવવાનું છે - કેવી રીતે તમે ૮૪ જન્મ લીધાં છે? જેમણે ૮૪ જન્મ લીધાં છે, તે જ સમજશે. કહેશે હવે બાપ ને યાદ કરી માલિક બનવું છે. ૮૪ જન્મ નથી સમજતાં તો કદાચ રાજાઈનાં માલિક નહીં બન્યાં હશે. આપણે તો હિંમત અપાવીએ છીએ, સારી વાત સંભળાવીએ છીએ. તમે નીચે પડી જાઓ છો. જેમણે ૮૪ જન્મ લીધાં હશે તેમને ઝટ સ્મૃતિ આવશે. બાપ કહે છે તમે શાંતિધામ માં પવિત્ર તો હતાં ને. હવે ફરી તમને શાંતિધામ, સુખધામ માં જવાનો રસ્તો બતાવું છું. બીજું કોઈ પણ રસ્તો બતાવી ન શકે. શાંતિધામ માં પણ પાવન આત્માઓ જ જઈ શકશે. જેટલી ખાદ નીકળતી જશે એટલું ઉંચ પદ મળશે, જે જેટલો પુરુષાર્થ કરે. દરેકનાં પુરુષાર્થ ને તો તમે જોઈ રહ્યાં છો, બાબા પણ ખુબ સારી મદદ કરે છે. આ તો જેમ જુનો બાળક છે. દરેકની નાડી ને તો સમજો છો ને. સમજદાર જે હશે તે ઝટ સમજી જશે. બેહદનાં બાપ છે, એમનાથી જરુર સ્વર્ગ નો વારસો મળવો જોઈએ. મળ્યો હતો, હવે નથી, ફરી મળી રહ્યો છે. લક્ષ્ય-હેતુ સામે ઉભું છે. બાપે જ્યારે સ્વર્ગની સ્થાપના કરી હતી, તમે સ્વર્ગ નાં માલિક હતાં. પછી ૮૪ જન્મ લઈ નીચે ઉતરતાં આવ્યાં છો. હવે છે આ તમારો અંતિમ જન્મ. હિસ્ટ્રી રિપીટ તો જરુર થશે ને. તમે આખો ૮૪ નો હિસાબ બતાવો છો. જેટલું સમજશે એટલાં પત્તા બનતાં જશે. તમે પણ અનેકોને આપ સમાન બનાવો છો ને. તમે કહેશો અમે આવ્યાં છીએ - આખાં વિશ્વને માયાની સાંકળો થી છોડાવવાં. બાપ કહે છે હું બધાને રાવણથી છોડાવવા આવું છું. આપ બાળકો પણ સમજો છો બાપ જ્ઞાનનાં સાગર છે. તમે પણ જ્ઞાન પ્રાપ્ત કરી માસ્ટર જ્ઞાનસાગર બનો છો ને. જ્ઞાન અલગ છે, ભક્તિ અલગ છે. તમે જાણો છો ભારત નો પ્રાચીન રાજ્યોગ બાપ જ શીખવાડે છે. કોઈ મનુષ્ય શીખવાડી ન શકે. પરંતુ આ વાત બધાને કેવી રીતે બતાવીએ? અહીંયા તો અસુરો નાં વિઘ્ન પણ ખુબ પડે છે. પહેલાં તો સમજતાં હતાં કદાચ કોઈ કચરો નાખે છે. હવે સમજો છો આ વિઘ્ન કેવી રીતે નાખે છે. નથિંગ ન્યૂ (કાંઈ જ નવું નથી). કલ્પ પહેલાં પણ આ થયું હતું. તમારી બુદ્ધિમાં આ આખુ ચક્ર ફરતું રહે છે. બાબા આપણને સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નું રહસ્ય સમજાવી રહ્યાં છે, બાબા આપણ ને લાઈટહાઉસ નું પણ ટાઇટલ આપે છે. એક આંખ માં મુક્તિધામ, બીજી આંખ માં જીવન-મુક્તિધામ. તમારે શાંતિધામ માં જઈને પછી સુખધામ માં આવવાનું છે. આ છે જ દુઃખધામ. બાપ કહે છે આ આંખો થી જે કંઈ તમે જુઓ છો, તેને ભૂલો. પોતાનાં શાંતિધામ ને યાદ કરો. આત્માએ પોતાનાં બાપને યાદ કરવાનાં છે, આને જ અવ્યભિચારી યોગ કહેવાય છે. જ્ઞાન પણ એક થી જ સાંભળવાનું છે. તે છે અવ્યભિચારી જ્ઞાન. યાદ પણ એક ને જ કરો. મારા તો એક, બીજું ન કોઈ. જ્યાં સુધી પોતાને આત્મા નિશ્ચય નહીં કરશો ત્યાં સુધી એક ની યાદ આવશે નહીં. આત્મા કહે છે હું તો એક બાબાની જ બનીશ. મારે જવાનું છે બાબાની પાસે. આ શરીર તો જૂનું જડજડીભૂત છે, આમાં પણ મમત્વ નથી રાખવાનું. આ જ્ઞાનની વાત છે. એવું નથી કે શરીરની સંભાળ નથી કરવાની. અંદરમાં સમજવાનું છે - આ જૂની ખાલ (વસ્ત્ર) છે, આને તો હવે છોડવાની છે. તમારો છે બેહદનો સન્યાસ. તેઓ તો જંગલ માં ચાલ્યાં જાય છે. તમારે ઘરમાં રહેતાં યાદ માં રહેવાનું છે. યાદ માં રહેતા-રહેતા તમે પણ શરીર છોડી શકો છો. ક્યાંય પણ છો તમે બાપ ને યાદ કરો. યાદ માં રહેશો, સ્વદર્શન ચક્રધારી બનશો તો ક્યાંય પણ રહેતાં તમે ઉંચ પદ પામી લેશો. જેટલી ઈન્ડીવિઝ્યુઅલ (વ્યક્તિગત) મહેનત કરશો એટલું પદ પામશો. ઘરમાં રહેતાં પણ યાદની યાત્રામાં રહેવાનું છે. હવે ફાઈનલ રિઝલ્ટ (અંતિમ પરિણામ) માં થોડો સમય બાકી છે. પછી નવી દુનિયા પણ તૈયાર જોઈએ ને. હમણાં કર્માતીત અવસ્થા થઈ જાય તો સૂક્ષ્મવતન માં રહેવું પડે. સૂક્ષ્મવતન માં રહી ને પણ પછી જન્મ લેવો પડે છે. આગળ જઈને તમને બધાં સાક્ષાત્કાર થશે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

 

ધારણા માટે મુખ્ય સાર:-
1. એક બાપ થી જ સાંભળવાનું છે. એક ની જ અવ્યભિચારી યાદ માં રહેવાનું છે. આ શરીરની સંભાળ રાખવાની છે, પરંતુ મમત્વ નથી રાખવાનું.

2. બાપે જે પરહેજ બતાવી છે તેનું પૂરું પાલન કરવાનું છે. કોઈ પણ એવું કર્મ નથી કરવાનું જેથી બાપની ગ્લાનિ થાય, પાપ નું ખાતું બને. પોતાને નુકસાન માં નથી નાખવાનાં.

વરદાન :-
પોતાની વિશાળ બુદ્ધિ રુપી તિજોરી દ્વારા જ્ઞાન રત્નો નું દાન કરવા વાળા મહાદાની ભવ

બુદ્ધિ બધી કર્મેન્દ્રિયો માં શિરોમણિ ગવાયેલી છે. જો વિશાળ બુદ્ધિ છે અર્થાત્ જેમની બુદ્ધિ સાલિમ છે, તેમનું મસ્તક સદા ચમકે છે કારણ કે બુદ્ધિ રુપી તિજોરી માં બધું જ્ઞાન ભરાયેલું છે. તે પોતાની બુદ્ધિ રુપી તિજોરી થી જ્ઞાન રત્નો નું દાન કરી મહાદાની બની જાય છે. તમે બુદ્ધિને સદા જ્ઞાનનું ભોજન આપતાં રહો, બુદ્ધિ જો જ્ઞાન બળ થી ભરપૂર છે તો પ્રકૃતિ ને પણ યોગ બળ થી ઠીક કરી લે છે. સર્વોત્તમ બુદ્ધિવાળા સંપૂર્ણ જ્ઞાન થી સર્વોત્તમ કમાણી કરી વૈકુંઠ ની બાદશાહી પ્રાપ્ત કરે છે.

સ્લોગન :-
શક્તિ સ્વરુપ સ્થિતિ નો અનુભવ કરવો છે તો સંકલ્પો ની ગતિને ધૈર્યવત બનાવો.